નેણને તેજસ્વી રાખવા અપનાવો સરળ યોગ પ્રક્રિયાઓ


ઇશ્વરે આંખોની રચના માત્ર વિશ્વને જોવા માટે નથી કરી. આપણા મનની ભાવના વ્યક્ત કરવા ભગવાને આપણને જીભ આપી છે. પરંતુ કેટલીક વખત એક શબ્દ પણ બોલ્યા વિના કાંઇ કહેવું હોય તો નેણ તે બખૂબી વ્યક્ત કરી શકે છે. ચાહે તે ખુશી હોય, ઉદાસી હોય કે પછી ક્રોધ.અને પ્રેમની અભિવ્યક્તિ માટે તો આંખો જ શ્રેષ્ઠ જબાન બની રહે છે. નેત્ર વિનાના લોકો માટે આખી દુનિયા અંધારી હોય છે. પરંતુ જેની પાસે આંખો છે તેઓ તેની ખરી કદર કરે છે ખરાં? વાસ્તવમાં આપણે આપણા નેણનો સદુપયોગ કરવા કરતાં દુરુપયોગ વધુ કરીએ છીએ. આખો દિવસ મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ,ટેબ્લેટ,ટી.વી. જેવા ઉપકરણો સામે બેસી રહીને આપણે આપણા નેત્રને ભારે ત્રાસ આપીએ છીએ. છેવટે નાની વયમાં જ આપણી નજર નબળી પડતી જાય છે. પરંતુ તમે ચાહો તો તમારી આંખોને વચ્ચે વચ્ચે થોડો થોડો આરામ  આપીને તેમ જ યોગ કરીને તંદુરસ્ત રાખી શકો છો. યોગ નિષ્ણાતો કહે છે કે આજની તારીખમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપણા જીવનનો ભાગ બની ગયાં છે. તે હવે વૈભવ નહીં, બલ્કે જરૂરિયાત બની ગયા હોવાથી તેનો ઉપયોગ ટાળવો કોઇના માટે શક્ય નથી. આવી સ્થિતિમાં નેણને થતી હાનિને ટાળવા માટે યોગથી વધુ ઉત્તમ ઉપાય બીજો કયો હોઇ શકે? તેઓ નેણ માટે કયો અને કેવો વ્યાયામ કરી શકાય તેની માહિતી આપતાં કહે છે....,

- સૌથી પહેલા સુખાસનમાં બેસો. 

- તમારા જમણા હાથને તમારી આંખો સામે સીધો રાખો.હાથની મુઠ્ઠી બંધ કરીને અંગૂઠો સીધો ઉપર તરફ રહેવા દો. 

- અંગૂઠાના નખને જોતાં જોતાં હાથને ડાબા ખભા તરફ લઇ જાઓ. 

- હાથને ધીમે ધીમે બહારની તરફ લેતા જાઓ, સાથે સાથે માથું હલાવ્યાં વગર અંગૂઠાને જોતાં રહો.

- હાથને મૂળ સ્થિતિમાં પાછો લઇ આવો. 

- આ પ્રક્રિયા હવે ડાબા હાથે કરો. 

- આ વ્યાયામના જ અન્ય ભાગમાં જમણા હાથને તમારી  આંખો સામે સીધો રાખો,તમારી મુઠ્ઠી બંઘ કરા ે અને  અંગૂઠાના નીચેના હિસ્સા પર  જૂઓ. હવે તમારી મુઠ્ઠી તમારા કપાળથી થોડો ઉપર તરફ લઇ જાઓ. ત્યાર બાદ તમારા અંગૂઠાને  ધીમે ધીમે તમારી બંને આંખોની વચ્ચે લઇ આવો.સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી નજરઅંગૂઠા પર જ રાખો. ત્રાટક નામે ઓળખાતી આ પ્રક્રિયા પાંચેક વખત કરી શકાય. 

ત્રાટક પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારી બંને હથેળીઓને જોરથી ઘસો. આમ કરવાથી હથેળીઓમાં ગરમી આવશે. હવે આ હથેળીઓ વડે આંખો ઢાંકો. આમ કરવાથી નેણને જે હૂંફ મળશે તે હકીકતમાં આંખોને આરામ આપશે. 

જોકે આંખોને સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહાર પણ એટલો જ મહત્વનો છે. ખાસ કરીને લીલા શાકભાજી અને મોસમી ફળો વધુ પ્રમાણમાં લેવાથી દ્રષ્ટિ સ્પષ્ટ રહે છે.

- કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે જોતાં બેસી રહેવાથી આંખોને ભારે ત્રાસ થાય છે. તેથી દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂૂર નજર નાખો. 

- મીણબત્તી પ્રગટાવીને  તેને આંખોના સ્તરથી થોડી નીચે તરફ રાખો અને તેની સામે એકીટશે જૂઓ. આમ કરવાથી નેત્રને આરામ મળે છે. આ વ્યાયામ મન-મગજને પણ શાંતિ બક્ષવા સાથે તેને સ્થિર,સંતુલિત રાખવામાં મદદ કરે છે. 

- જો આ પ્રક્રિયા દરમિયાન આંખોમાં પાણી આવવા લાગે તો મીમબત્તી બુઝાવી દો. 

- બાળકોને આંખોનો વ્યાયામ રમત રમતમાં કરાવી શકાય. જેમ કે તેમને રમવા માટે દડો આપો. તેમને આ બોલ એક હાથમાંથી બીજા હાથમાં ફેંકવાનું કહો. જ્યારે દડો એક હાથમાંથી બીજા હાથમાં ફેંકવામાં આવે ત્યારે બાળકને માથું હલાવ્યા વગર જ માત્ર બોલ સામે જોવાનું કહો. આમ કરવાથી બાળકનાઆંખોની કીકી સતત ડાબે-જમણે ફરતી રહેશે. નેણને સ્વસ્થ રાખવા માટે આ ઉત્તમ વ્યાયામ છે. જ્યારે મોટી વયના લોકો આંખોની કીકીઓ ડાબે-જમણએ ફેરવીને આ કસરત કરી શકે. 

- નેણના અન્ય એક વ્યાયામમાં મોઢામાં પાણી ભરી લો. હવે પાણી ભરેલું મોઢું કોગળો કરતાં હો એ રીતે ફૂલાવી રાખીને આંખો પર પાણીની છાલકો મારો. આમ કરવાથી નેણની આસપાસ રક્તપરિભ્રમણ વધે છે. 

આ સઘળા વ્યાયામ ઉપરાંત નિયમિત રીતે સૂર્યોદય જૂઓ. માથા, કાન, ગાલની આસપાસ માલીશ કરો. રાતના સમયે આકાશમાં એક તારો શોધી કાઢો અને થોડી મિનિટો સુધી તેની સામે જોતાં રહો. 

આ પ્રકારના સરળ ઉપાયો દ્વારા તમે તમારી અમૂલ્ય આંખોને  કાયમ માટે સ્વસ્થ રાખી શકો છો.  



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tg41CR
Previous
Next Post »