- ટચૂકડા પડદાની ઘણી અદાકારાઓ પોતાની છબિને ઉજળી રાખવા નકારાત્મક પાત્રો ભજવતા ખચકાય છે. પરંતુ દેબીનાને આવી વાર્તાથી કોઈ ફરક નથી પડતો

આ જથી દોઢેક દશક પહેલાં ટચૂકડા પડદે 'માયાવી' ધારાવાહિકથી કામ શરૂ કરનાર દેબીના બોનરજીને વર્ષ ૨૦૦૮માં આવેલી પૌરાણિક ધારાવાહિક 'રામાયણ'માં તેણે ભજવેલા 'સીતા'ના પાત્રએ ગજબની લોકપ્રિયતા અપાવી. ત્યારબાદ તેણે સંખ્યાબંધ રીઆલિટી શોઝમાં પોતાના હુન્નર અને સાહસનો પરિચય આપ્યો. અલબત્ત, તેણે અન્ય ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું. ૨૦૧૯ની સાલમાં ધારાવાહિક 'વિષઃ અ પોઈઝનસ સ્ટોરી'માં તેણે 'વિષકન્યા'ની ભૂમિકા પણ બખૂબી ભજવી અને છેલ્લે તેણે એક વર્ષથી લોકપ્રિય બનેલી 'અલ્લાદ્દીન- નામ તો સુના હી હોગા'માં એન્ટ્રી લીધી.
જોકે કમનસીબે કોવિડ-૧૯ના ભયને પગલે આવેલા લોકડાઉનને કારણે હજી સુધી તેને આ શોમાં ઝાઝું કામ કરવાની તક નથી મળી. પરંતુ સિરિયલોના શૂટિંગ ફરીથી શરૂ થશે એટલે દેબીનાને પણ તેનો અધવચ્ચે મૂકેલો રોલ આગળ ધપાવવાની તક મળશે અને આ લખાઈ રહ્યું છે ત્યારે પૂરી તકેદારી સાથે સિરિયલોના શૂટિંગ ફરીથી શરૂ કરવાની સરકારને વિનંતી કરવાની વિચારણા ચાલી રહી છે. દેબીના પણ આ શોનો પોતાનો 'મલ્લિકા'નો રોલ આગળ ધપાવવા ઉત્સુક છે.
અભિનેત્રી કહે છે કે સોન સબ ચેનલ પર આવતાં આ શોમાં એન્ટ્રી મળતાં મને એમ લાગ્યું જાણે હું મારા ઘરે પાછી ફરી છું. મેં અગાઉ આ ચેનલ પર જ 'ચિડિયા ઘર', 'યમ હૈં હમ', 'ડૉ. મધુમતી'માં કામ કર્યું છે. વળી મને તો અગાઉથી જ લોકપ્રિય બનેલા શોમાં કામ કરવાની તક મળી છે અને આ ચેનલ પર મારા ચાહકોની સંખ્યા નાનીસુની નથી એ વાત મારી તરફેણમાં આવે છે.
દેબીના આ શોમાં અધવચ્ચે આવી છે છતાં તેને એવી ચિંતા નથી કે અગાઉથી લોકપ્રિય બનેલા આ શોના અન્ય કલાકારો વચ્ચે તે ક્યાંક ખોવાઈ જશે. તે કહે છે કે 'મલ્લિકા'ની ભૂમિકા તદ્દન નોખી તરી આવે એવી છે. મને આ નેગેટિવ રોલમાં મારી અભિનય ક્ષમતા બતાવવાની ઉજળી તક મળી છે. કારણ કે મારું વિલનનું પાત્ર દેખીતી રીતે (દેખાવમાં) નકારાત્મક નથી. 'મલ્લિકા' સૌથી મોટી જિન સર્જક છે.
આમ છતાં તે દેખાવમાં ભયાનક નથી. તે અત્યંત ગ્લેમરસ, લુચ્ચી અને ખતરનાક છે. વળી તેમાં મારા વૈવિધ્યસભર પોશાકોએ દર્શકોના મન મોહી લીધાં હતાં અને ભવિષ્યમાં પણ મોહશે. પરંતુ મારા માટે આ પુષ્કળ ઝાલરવાળા વસ્ત્રો સંભાળવાનું કામ ખાસ્સું કપરું બન્યું હતું. એક વખત તો આવો પોશાક પહેરીને પગથિયાં ઉતરતી વખતે હું પડી ગઈ હતી.
ટચૂકડા પડદાની ઘણી અદાકારાઓ પોતાની છબિને ઉજળી રાખવા નકારાત્મક પાત્રો ભજવતા ખચકાય છે. પરંતુ દેબીનાને આવી વાર્તાથી કોઈ ફરક નથી પડતો. તે કહે છે કે એક અભિનેત્રી તરીકે કોઈપણ સારી અને પડકારજનક ભૂમિકા ભજવવા હું હંમેશાં તૈયાર રહું છું. જ્યાં સુધી મને મારો રોલ મહત્ત્વનો અને શક્તિશાળી લાગે ત્યાં સુધી તે ભજવવામાં મને જરાય વાંધો નથી. વળી હું એમ પણ માનું છું કે માત્ર સકારાત્મક પાત્રો ભજવવામાં એકવિધતા આવી જાય. જ્યાર ગ્રે કેરેકટર્સમાં તમને અભિનયમાં પણ વૈવિધ્ય મળી રહે.
હું હંમેશાંથી વૈવિધ્યસભર કિરદારો નિભાવવાની આગ્રહી રહી છું. તેથી જ મેં 'સીતા'ની ભૂમિકા ભજવ્યા પછી તરત જ 'યમ હૈં હમ'માં કોમેડી રોલ કર્યો. અલબત્ત, આ કામ સહેલું નહોતું. પણ હું કોઈ એક છબિમાં જકડાઈ રહેવા નહોતી માગતી અને સદનસીબે દર્શકોએ પણ મને દરેક પ્રકારના પાત્રોમાં આવકારી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dXtCZF
ConversionConversion EmoticonEmoticon