
આણંદ, તા.07 ડિસેમ્બર 2019, શનિવાર
તાજેતરમાં લેવાયેલ બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ ઉજાગર થતા છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષાર્થીઓ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે ત્યારે ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શનિવારના રોજ બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગ સાથે આણંદ ખાતે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
તાજેતરમાં લેવાયેલ બિનસચિવાલયની પરીક્ષામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ગેરરીતિ થઈ હોવાના વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતા. જેને લઈ ગાંધીનગર ખાતે પરીક્ષાર્થીઓ દ્વારા બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેને કોંગ્રેસના વિવિધ નેતાઓએ પણ ટેકો જાહેર કર્યો છે ત્યારે આણંદ શહેર ખાતે આજે ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આણંદ શહેરની બોરસદ ચોકડી ખાતે એનએસયુઆઈ તથા ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ એકત્રિત થઈ બિનસચિવાલયની પરીક્ષા રદ કરોની માંગ સાથે રેલી કાઢી હતી. આ રેલી આણંદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યારે બંદોબસ્તમાં ઉભેલ પોલીસે કાર્યકર્તાઓને અટકાવતા કાર્યકરોએ રસ્તા ઉપર જ ધરણાં કરી ''સરકાર હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ''ના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો. જો કે પોલીસે કાર્યકર્તાઓને કલેક્ટર કચેરીમાં ઘુસવા જતા અટકાવતા ઝપાઝપી થઈ હતી અને કાર્યકર્તાઓ જબરદસ્તીથી કલેક્ટર કચેરીમાં ઘુસી ગયા હતા.
જેને લઈ પોલીસને પણ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવતા ભારે મુશ્કેલી પડી હતી. બાદમાં કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને ચીટનીશને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગાંધી અને સરદારના ગુજરાતમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/342Nchg
ConversionConversion EmoticonEmoticon