
એ ક અમેરિકી યજમાનને મહેમાને પૂછ્યું : ''તમારા પડોશમાં કોણ-કોણ રહે છે ?''
''મોટા ભાગે તેમનું બારણું બંધ હોય છે એટલે એમનાં ઘરનાં માણસોનું મોં પણ આજ લગી અમે નથી જોયું !''
અમદાવાદનો એક કુરિયર પૂછે છે : ''તમારા એપાર્ટમેન્ટ નંબર ૧૬ વાળા તન્મયભાઈ ક્યે માળે રહે છે ?''
''અમને તો અમારા પડોશમાં કોણ રહે છે, એની જ ખબર નથી, તો ૧૬ નંબરવાળાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી !''
આજની યંત્રવત્ સંસ્કૃતિએ માણસ પાસેથી લાગણી, પ્રેમ, આત્મીયતા, સહકારની ભાવના બધું જ છીનવી લીધું છે. આજના માણસને પોતાના અને પોતીકાં સિવાય અન્ય કોઈમાં રસ નથી ! વાર-તહેવારે યંત્રવત્ મુલાકાતો થાય છે પછી સૌ પોતપોતાની ધૂનમાં મસ્ત ! સભ્યતા માનવમન અને હૃદયની ઉષ્મા છીનવી લે તો એવી પ્રગતિ શા કામની ? આત્મીયતા શોષણ અને નિર્લિપ્તપણાનું પોષણ એ આજના જીવનની મોટી વિકૃતિ છે. 'પડોશ' કે 'પાડોશ' એ કેવા રુપાળા શબ્દો છે. સંસ્કૃતમાં પડોશ માટે 'પ્રતિવાસ' શબ્દ વપરાય છે, જેનો અર્થ થાય છે નજીકનો વાસ. પડોશ એટલે જોડાજોડનો વાસ. પાસેનો વાસ, પ્રતિવેશ. મહોલ્લાનું કે મહોલ્લામાં રહેનાર, એ અર્થમાં પણ પડોશી શબ્દ વપરાય છે.
'અંગ્રેજી શબ્દોની દુનિયા'માં પ્રભુલાલભાઈ દોશીએ 'પડોશી' ઉર્ફે 'નેબર' શબ્દનું મૂળ સમજાવતાં કહ્યું છે કે સેક્ષન ભાષામાં NEH-Gebar શબ્દ છે. NEH = NEAH પદનો અર્થ થાય છે 'નજીક' અને GEBUR નો અર્થ થાય છે રહેનાર કે વસવાટ કરનાર. જૂની જર્મન ભાષામાં પણ BUAN, BUWAN શબ્દો છે જેનો અર્થ થાય છે નજીકમાં રહેનાર કે પડોશી.
ભારતીય સંસ્કૃતિમાં 'પડોશી' અને તેમની સાથેના સંબંધને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સારો પડોશ એ આશીર્વાદ મનાય છે જ્યારે ખરાબ પડોશી એ અભિશાપ. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમન્ન નારાયણે પડોશી વિશે સુંદર વાત કરી છે :
''કહાં ખોજતે-ફિરતે પ્રભુકો,
વહ તો છિપા પડોશી ઘર,
મિત્ર ભૂલકર જિસ પર તુમને,
કભી ન ડાલી નેહ નજર''
પડોશીમાં પરમેશ્વરનું દર્શન કરવું એ સંસ્કારિતાની નિશાની છે. અન્ય સગાં દૂર હોય ત્યારે પડોશી જ 'પહેલા' સગાની ભૂમિકા નિભાવે છે. એક જ એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં રહેવું એ જ સાચા પડોશીની વ્યાખ્યા નથી પણ 'ભાવનાત્મક' તેમજ વૈચારિક સ્તરે સાથે રહેવું એ પડોશીનું લક્ષણ છે. ઈસા મસીહે પડોશીનું મહત્વ પારખીને જ કહ્યું હતું કે તું તારી જાતને જેટલો ચાહે છે, તેટલો જ તારા પડોશીને ચાહ.
સજ્જન પડોશી મળે તો માનજો કે તમારા જીવતરમાં લોટરી લાગી ગઈ ! વિપત્તિમાં બધા જ મતભેદો ભૂલી પડોશીને તન-મન-ધનથી મદદરૂપ થવું એ દેવસેવા જેટલું જ પવિત્ર કાર્ય છે. દેવસેવામાં વાંધા-વચકાને સ્થાન ન હોય ! ઘણી વાર માણસ પડોશીને ચાહવાનો દેખાવ કરે છે, પણ મન કે હૃદયનું સાંકડાપણું ત્યજી શકતો નથી. એવી સંકીર્ણતા ઈર્ષ્યા અને દ્વેષ જન્માવે છે. માણસ પોતે સુખી હોવા કરતાં પોતે પડોશી કરતાં કેટલો ઓછો કે વધુ સુખી છે એની ગણતરી કરી અકારણ દુ:ખી થાય છે.
પડોશના સંબંધોમાં ક્યારેક 'અતિનિકટતા' અંતે ધૃણા કે નફરતમાં પરિણમતી હોય છે. એટલે જ સંબંધ બાંધવામાં 'અતિ' ઉતાવળ ન કરવી કે પડોશી સાથેનો સંબંધ તોડવામાં પણ અવિચારીપણું ન દાખવવું. પડોશી સાથેના સંબંધમાં પણ ઉચિત મર્યાદા કે સીમારેખા જાળવવી જરૂરી છે. એવી સીમા કે લક્ષ્મણરેખાનું અતિક્રમણ સંબંધ વિચ્છેદનું કારણ બને છે.
પડોશના સંબંધમાં જેટલી સહિષ્ણુતા, ક્ષમાભાવના, જતું કરવાની વૃત્તિ, પોતાના અધિકાર પ્રત્યેની ત્યાગવૃત્તિ વધુ તેટલા પ્રમાણમાં પડોશના સંબંધો સ્વચ્છ અને સ્વસ્થ રહેવાની શક્યતા. સંતાનો કે પત્નીની ફરિયાદને મોટું સ્વરૂપ આપી પડોશી સામે બાંયો ચઢાવવી એ પડોશીધર્મનું અપમાન છે.
પડોશી બનવું એટલે દિલાવરી માટેની પ્રતિજ્ઞાા કરવી. 'સહવાસી' બનાય પણ 'સહૃદયી' ન બનાય તો એવો સહવાસ સુગંધ વગરનું ધતૂરાનું ફૂલ જ બની જાય. હેવનપાર્ક અમારા પડોશી મુકેશભાઈ શાહ જૈન હોવા છતાં હિન્દુ તરીકેના અમારા તહેવારો સાચવે છે. પડોશીમાં દ્વેષ જન્મે તો તેને પગલે વેરવૃત્તિ અને બદલો લેવાની હીણ વૃત્તિ જન્મે. 'દ્રષ્ટાન્ત સૌરભ'માં શ્રી માણેકે ઈર્ષ્યા વિષયક એક પ્રસંગ ટાંક્યો છે, જે 'પડોશીધર્મ'નું મહત્વ અંકિત કરે છે.
તદ્નુસાર આપણે દરેક વસ્તુની સરખામણી કરીએ છીએ. જે માણસ આપણી નજીક તેમ તે વધુ ઇર્ષાપાત્ર આપણે અજાણ્યા શ્રીમંતની કદમબોસી કરીએ છીએ કેવો મોટો માણસ મને ઓળખે છે, તેનું અભિમાન કરીએ છીએ તેનાં ગુણગાન કરીએ છીએ, પણ જો આપણો સગો ભાઈ સુખી હોય, શ્રીમંત હોય તો હૃદયમાં તેની ઈર્ષા કરીએ છીએ. અરે ! આપણો પડોશી જો શ્રીમંત હોય તો તેની પણ ઈર્ષા કરીએ છીએ, તેનું બૂરું ઈચ્છીએ છીએ. તે સંદર્ભે શ્રી માણેકે એક દ્રષ્ટાન્ત ટાંક્યું છે.
એક માણસ પર ભગવાન પ્રસન્ન થયા, અને કહ્યું : હું તને ત્રણ વરદાન આપીશ, તારે જે માગવું હોય તે માગજે, પણ એક શરત છે કે તને જે મળશે, તેનાથી બમણું તારા પડોશીને મળશે. એ માણસને ખબર ન પડી કે આ વરદાન છે કે શાપ ? ભગવાન મને વરદાન આપે અને પડોશીને એનો બેવડો ફાયદો થાય, તે મારાથી કેમ સહન થાય ? એ માણસ બહુ જ મુંઝાયો, ખૂબ વિચાર કર્યો, શું માગું ને શું ન માગું ? માગવામાં મોડું થયું એટલે ભગવાન આકળા થયા. અને એ માણસને કહ્યું : ''જે માગવું હોય તે માગ, નહીં તો હું મારાં વરદાન પાછાં ખેંચી લઈશ.''
''શહેરમાં રહેતો માણસ, એક બીજાને છેતરતો માણસ, છેતરવાનો કસબ જાણતો માણસ, ભગવાનને પણ ક્યાંથી છોડે. છેતરવું એ તો માણસને કોઠે પડી ગયું છે ! એ માણસે શાન્તિથી વિચાર કરીને ભગવાનને કહ્યું : ભગવાન મને એક મહેલ આપો.'' ભગવાને કહ્યું : ''ભલે, તારો એક મહેલ અને પડોશીના બે મહેલ, બરાબર ?''
ત્યાર બાદ એ માણસે કહ્યું : ''મને બે કૂવા આપો.'' ભગવાને એ માણસને બે કૂવા આપ્યા અને પડોશીને શરત મુજબ ચાર કૂવા આપ્યા.
અંતે તે માણસે કહ્યું : ''ભગવાન, મારી એક આંખ ફોડી નાખો.'' વરદાન મુજબ એની એક આંખ ફૂટી ગઈ અને પડોશીની બે આંખો ફૂટી ગઈ ! ઈર્ષાવશ એ માણસ એમ વિચારતો હતો કે એનો આંધળો પડોશી ચાર કૂવામાંથી એકાદ કૂવામાં પડશે. આવી ઈર્ષ્યા એ દુષ્ટતાની પરાકાષ્ટા છે ! અહીં એક શાયરની પંક્તિઓ ટાંકવી પ્રાસંગિક છે.
''સભ્યતા કી ફટી ચાદર
ઓઢકર બૈઠા હુઆ,
દર્દ કો મોટી સૂઈએ,
સી રહા હૈ આદમી,
આદમી કા આદમિયતસે,
રિશ્તા નહીં રહા,
ફિર ન જાને ક્યોં અભીતક,
જી રહા હૈ આદમી.''
આદર્શ પડોશી બનવાના સાત ઉપાયો ક્યા ?
પડોશીને કશી અપેક્ષા વગર દિલથી ચાહો.
અંતરની દુઆ અને પ્રાર્થના પડોશીના કલ્યાણ માટે વરસાવતા રહો.
પડોશીની ક્યારેય નિંદા ન કરો. તેના સારા ગુણોની પ્રશંસા કરો. પડોશીની ધર્મ ભાવનાની ઈજ્જત કરો.
ઈર્ષા અને વાદવિવાદથી પડોશી સાથેના સંબંધને મુક્ત રાખો.
પડોશી સાથેના સંબંધને ક્ષમા, સહિષ્ણુતા, સમાધાનવૃત્તિથી મજબૂત બનાવતા રહો.
પડોશી સાથે 'અતિ નિકટતા' અને અત્યંત અલિપ્તતાથી અળગા રહો.
પડોશીને લાગવું જોઈએ કે તમે એને માટે અડધી રાતનો હોંકારો છો. હકને બદલે ફરજને મહત્વ આપો. પડોશી પ્રત્યેનો રોષ અને દોષને મનમાંથી જાકારો આપો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/320FCG7
ConversionConversion EmoticonEmoticon