
સારા ભલે પોતાની 'લવ આજ કલ' ની પ્રશંસા કરે છે. તે એમ કહી રહી છે કે દર્શકોને આ મૂવી ગમી છે. પરંતુ બોક્સ ઓફિસ પર તેને ધારી ઓપનિંગ નહોતી મળી.....
તાજેતરમાં જ સારા અલી ખાનની ત્રીજી ફિલ્મ 'લવ આજ કલ' રજૂ થઈ. તેણે વર્ષ ૨૦૧૮માં સુશાંત સિંહ રાજપૂત સાથે જોડી જમાવીને 'કેદારનાથ' દ્વારા હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કર્યું. જો કે તેની પહેલી ફિલ્મ રજૂ થઈ તેનાથી પહેલાં જં તે સર્વત્ર છવાઈ ગઈ હોય એવો તાલ સર્જાયો હતો. વાસ્તવમાં તે ફિલ્મ કલાકારો સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી હોવાથી મીડિયાએ તેને પુષ્કળ ફૂટેજ આપ્યું. તેની માતા અમૃતા સિંહ ભાગ્યે જ જાહેરમાં દેખાય છે. પરંતુ એક સમયમાં તે જાણીતી અભિનેત્રી હતી. સારાને પણ એ વાતની ખુશી છે કે પ્રસાર માધ્યમો તેને બહુ ચાહે છે.
મહત્ત્વની વાત એ છે કે દસેક વર્ષ અગાઉ આવેલી 'લવ આજ કલ' માં સારાના પિતા સૈફ અલી ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને તેને કારણે તેની ફિલ્મની તુલના તે વખતની મૂવી સાથે થાય તે સ્વાભાવિક છે. પરંતુ સારા કહે છેકે કાળક્રમે બધુ બદલાતું હોય છે. તેથી મારા પિતાની ફિલ્મની કહાણી અને મારી મૂવીની સ્ટોરીમાં ઘણો ફરક છે. વળી ફિલ્મ સર્જક ઈમ્તિયાઝ અલીની પ્રેમકથા રજૂ કરવાની આગવી રીત છે. આજની તારીખમાં લવ સ્ટોરીઝ રજૂ કરવામાં તેઓ ટોચ પર ગણાય છે. એ વાત જુદી છે કે દર્શકોને આ વખતે ફિલ્મ સર્જકની સ્ટાઈલમાં દમ નહોતો દેખાયો.
સારાની છેલ્લે રજૂ થયેલી 'લવ આજ કલ' માં કાર્તિક આર્યન સાથે તની કેમેસ્ટ્રી સરસ મળતીહતી. અને વાસ્તવિક જીવનમાં પણ બેઉ એકમેક પ્રત્યે ખેંચાયા છે એ સ્પષ્ટ દેખાય છે. જો કે સારા આ વાત કબૂલતી નથી. તે કહે છે કે આ ફિલ્મમાં મેં અને કાર્તિકે 'ઝો' અને 'વીર' ના રોલ કર્યાં છે. તે વધુમાં કહે છે કે સેટ પર ફાજલ સમયમાં વાતો કરતી વખતે પણ અમે 'ઝો' અને 'વીર' જ રહેતા. ઈમ્તિયાઝ અલીની આગવી અદામાં અમારા પાત્રોને ન્યાય આપવા અમે અમારી ભૂમિકાઓ જીવતા હતા. બાકી જ્યાં અમારા વિશે જે વાતો થાય છે તેના તરફ હું બિલકુલ ધ્યાન નથી આપતી.
સારા ભલે પોતાની 'લવ આજ કલ' ની પ્રશંસા કરે છે. માટે એમ કહી રહી છે કે દર્શકોને આ મૂવી ગમી છે. પરંતુ બોક્સ ઓફિસ પર તેને ધારી ઓપનિંગ નહોતી મળી એ વાત સ્વીકારવી જ રહી. આ ફિલ્મે પહેલે દિવસે માત્ર ૧૨ કરોડ રૂપિયાનો જ બિઝનેસ કર્યો હતો. દર્શકોએ તેને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. કેટલાંકને આ મૂવી ગમી હતી તો કેટલાંકને તે સરેરાશ લાગી હતી.
સારા અલી ખાન પણ ફિલ્મની રજૂઆતથી પહેલા ખાસ્સી ચિંતિંત હતી. જો કે તેમ નથી કબૂલતી કે તેને બોક્સ ઓફિસની ચિંતા હતી. તે કહે છે કે આફિલ્મની મારી ભૂમિકા ઘણાં અંશે મને પોતાને મળતી આવે છે. 'ઝો' માટે કારકિર્દી સૌથી મહત્ત્વની હતી. અને તે પણ સિંગલ મધર સાથે રહેતી હતી. તેવી જ રીતે મારા માટે પણ કરીઅર સૌથી પહેલા અને બીજું બધુ પછી છે. મને પણ સિંગલ મધરે ઉછેરી છે. જોકે મારામાં અને 'ઝો' માં સૌથી મોટો તફાવત એ છે કે દિલ્હીની છોકરી 'શો' ને લોકોની વાતોથી બહુ ફરક પડે છે. તે બહુ જલ્દી ઉશ્કેરાઈ પણ જાય છે. જ્યારે મારા ઉપર અન્યોની વાતોની કોઈ અસર નથી થતી. તેથી હું બહુ શાંત અને સ્વસ્થ રહી શકું છું. બાકી મને એ કબૂલ કરવામાં જરાય સંકોચ નથી થતો કે ઈમ્તિયાઝ અલીના માર્ગદર્શન વિના હું મારો રોલ આટલી સારી રીતે ન ભજવી શકત.
સારાને બોલીવૂડમાં આવ્યે ઝાઝો સમય નથી થયો છતાં તેની વાતચીતની છટા, તેનો આત્મવિશ્વાસ, તેની સમજદારી તેની વાતોમાં સ્પષ્ટ નજરે પડે છે. બિલકુલ પોતાના પિતા સૈફ અલી ખાનની જેમ. સારાને આવી તુલના ગમે છે. તે કહે છે કે હું સ્પષ્ટવક્તા છું તે લોકોને ગમે છે. બાકી હું માત્ર મારા પિતાની જેમ જ નહીં, મમ્મીની જેમ આખાબોલી છું. મારા માતાએ મને એવી જ રીતે ઉછેરી છે. અલબત્ત, મારા ઉછેરમાં મારા શિક્ષણની સૌથી મોટી ભૂમિકા છે. મારો આત્મવિશ્વાસ મારા શિક્ષણની દેન છે. અને મારું શિક્ષણ મારા પિતાની પ્રેરણા તેમ જ તેમણે તેના માટે કરેલા ખર્ચને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આજે હું જે છું તેમાં મારા માતા-પિતા બંનેનો ફાળો છે.
અભિનેત્રી જે કરે છે તે ખરા મનથી કરે છે. તેને અડધુપડધું કામ કરવું નથી ગમતું. તે કહે છે કે ઘણાં લોકો મને પૂછે છે કે મારા માટે પ્રેમ એટલે શું, રોમાન્સ એટલે શું? પરંતુ આ બાબતે હું બહુ મૂડી છું. ઘણી વખત હું એકદમ રોમાન્ટિક હોઉં છું તો ઘણી વખત તદ્ન રૂક્ષ. હું જે કરું છું તે હૃદયના ઊંડાણથી કરું છું. જો હું પ્રેમમાં પડીશ તો ખરા દિલથી. હું જ્યારે કોઈના પ્રેમમાં પડીશ ત્યારે તે બધાને દેખાશે. તે બિલકુલ છૂપું નહીં રહે. ભૂતકાળમાં ક્યારેય મને એવો પ્રેમ નથી થયો.
જો કે કરણ જોહરના ટોક શોમાં સારાએ કહ્યું હતું કે હું કાર્તિક આર્યનને ડેટ કરવા માગું છું. આના જવાબમાં સારા કહે છે કે એ શો માત્ર ગમ્મત માટે હોય છે તેથી આ ટોક શો પર રજૂ થયેલી કોઈપણ વાતને ગંભીરતાથી ન લેવી જોઈએ.
સારા ફોટોજર્નાલિસ્ટોને છૂટથી ફોટા પાડવા આપે છે. તે નિ:સંકોચપણે પોતાના ચાહકો સાથે સેલ્ફી લેતી જોવા મળે છે. અભિનેત્રી આ બાબતે કહે છે કે આ તો કલાકારોની ઓળખ ગણાય. દર્શકોનો પ્રેમ જ અમારા માટે સર્વસ્વ હોય છે. દર્શકો સામે ચાલીને અમારી પાસે આવે તેનાથી મોટું માન અમારા માટે બીજું કશું હોઈ શકે. રહી વાત પાપારાઝીઓની તો તેઓ અમને ભરપૂર ખ્યાતિ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો કે તે તરત જ ઉમેરે છે કે કલાારોને કીર્તિ ત્યારે જ મળવી જોઈએ જ્યારે તેમની ફિલ્મ પસંદ કરવામાં આવે. જ્યારે મને મારી મૂવીની રજૂઆતથી પહેલા જ ભરપૂર ખ્યાતિ મળી ગઈ હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32SM9la
ConversionConversion EmoticonEmoticon