
હોલિકાત્સવ, ફાગણ અને વસંત આ ત્રણેયનો શુભગ સંગમ ફાગણ સુદ પૂનમનાં દિવસે રચાય છે. આ દિન વ્રતની પુનમ સાથે હુતાસણીપર્વ પણ ગણાયું છે. આ સંધ્યાએ હોલિકાદહનનું મુહુર્ત નીકળે છે. તો આ પછીનો દિવસ રંગો-ગુલાલધૂળેટી અને વસંતોત્સવ તરીકે પણ ઉજવાય છે. તહેવારોનાં રાજા ગણાતો હોળીનો ઉત્સવ ફાગણના રંગોથી માણસનાં રોજીન્દા શુષ્ક જીવનને રંગીન બનાવે છે. એ સિવાય આ વસંતોત્સવ સંયમની દીક્ષા આપતો, સત્ય-નિષ્ઠા સાથે અધર્મ પરધર્મનાં વિજયનો તેમજ માનવસમાજ અને મનમાં છૂપાયેલી દુષ્વૃતિને બાળી નાખવાનો સંદેશ આપતો તહેવાર છે.
ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધૂળેટીએ આનંદોલ્લાસનો અનુપમ સર્વશ્રેષ્ઠ રસોત્સવ છે. આ ઉત્સવમાં નૃત્ય-ગીત, હંસી-ખુશી અને મોજમસ્તીનો ત્રિવેણી સંયોગ રચાય છે. જેમાં નિદોર્ષતા સાથે સામાજિક રીતે હળીમળીને રહેવાની ભાવના મહત્વની છે. વસંત-પંચમીથી રંગ પંચમી સુધીનો સમય પ્રણયનાં રંગરાગમાં ભીંજાવવાનો પલળવાનો કે પલાળવાનો અદભુત અવસર છે. તેમાંય હોળી-ધૂળેટી એ તો વસંત-ઋતુનો યૌવન કાળ છે.
ફાગણમાં માનવ-ઉર્મિઓનો ઉલ્લાસ એની ચરમ સીમાએ પહોંચે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર ફાગણઋતુની ઉષ્માને પ્રિયાલિંગનનાં માધુર્ય સ્પર્શ સાથે સરખાવતાં કહે છે. સહસ્ત્ર- સહસ્ત્ર મધુ-માદક સ્પર્શોથી આલિંગન કરીને આ ફાગણનાં સૂર્ય કિરણોએ વાસંતી સવારને સુગંધિત અને સ્વર્ણ સમાન આહ્લાદિત કરી દીધી છે.
હોળીનાં રંગોત્સવનું શબ્દચિત્ર દોરતાં હિન્દી કવિ ગોપાલસિંહ લખે છે,
'બરસ-બરસ પર આતી હૈ હોલી, રંગોકાત્યોહાર અનુઠા..'
વસંતનાં રાગની વચ્ચે ઉજવાતી હોળી-ધૂળેટી રંગોનો વરસાદ વરસાવી દે છે. સૌને એમાં રંગાવું ખૂબ ગમે છે. આ રંગોમાં સૌને ભીંજાવું ગમે છે. સાથે સાથે અહીં ભક્તિનો રંગ પણ ભળ્યો છે. એટલે જ તો એક ભજનમાં ગવાયું છે ને કે, 'તું રંગાઈ જાને રંગમાં.. એજ પ્રમાણે રાધેશ્યામ રસરાજ કૃષ્ણ અને આહ્લાદિની રાધા વચ્ચે વ્રજમાં જે પ્રણયરંગી હોળી ખેલાયી તેનું રસપ્રચુર વર્ણન અષ્ટકવિઓએ બહુ સુંદર રીતે કર્યંક છે.
'નંદ કુવર ખેલત રાધા સંગ,
જમુના પુલિન સરસ રંગ હોરિ,
કેસર કે રંગ ભરે, સંગ સખા હલધર કી જોરી..'
આ પદને અંતે પરમાનંદદાસ કહે છે,'હું નિર્મળ મુક્તિનું પદ છોડીને વ્રજમાં હોળી ખેલતા ભગવાન શ્રી કૃષ્ણને રાધિકાનાં દર્શનનું સુખ ઇચ્છું છું. વર્ષોથી વ્રજમાં વસંત-ફાગણની ઋતુમાં રાધા-કૃષ્ણ અને ગોપ- ગોપિકાઓનાં સમાન, પરંપરા પ્રમાણે હોળીનાં ખેલ ખેલવામાં આવે છે.
'ગુલાલમ્ પ્રીતિ વર્ધનમ. ગુલાલને પ્રેમને વૃધ્ધિ કરનારુ' તત્ત્વ ગણ્યું છે, જેથી ધૂળેટીમાં ગમતાનો ગુલાલ કરીએતો ભાવ સાર્થક ગણાય છે. હોળી ધુળેટીનાં સ્નેહભીના ગુલાલ સૌને ગમતા કરે છે.
'દશકુમાર ચરિત્ર માં હોળીને મદ્નોત્સવનું નામ અપાયું છે. વસંતને મદન એટલે કે કામનો સહચર મનાયો છે. માટે જ વસંત ઋતુમાં કામદેવનાં પૂજનનો મહિમા છે.
પૃષ્ટિ પરંપરા અનુસાર વસંત-ફાગણમાં નિત્ય શ્રી ઠાકોરજીને રાજભોગમાં હોળીનાં ગુલાલથી રંગવામાં આવે છે. એની સાથે પ્રાકૃતિક રંગો જેવા કેસૂડાનીરાળ, ફૂલોનાં શણગારોથી હિંડોળો સજાવી એમાં ઠાકોરજીને ઝૂલાવવામાં આવે છે.
- પરેશ અંતાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cxiDG4
ConversionConversion EmoticonEmoticon